Western Times News

Gujarati News

અમદાવાદની ફ્લાઈટના 140 પેસેન્જર્સ જયપુર એરપોર્ટ પર ફસાયા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને થોડા વિરામ બાદ ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં બુધવારે રાત્રે ગુજરાત સહિત રાજસ્થાનના પણ અનેક વિસ્તારોમાં જાેરદાર વરસાદ પડ્યો હતો. શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

જેના કારણે પોતાનું વાહન પણ ચલાવી ન શકાય એવી સ્થિતિ હતી. ત્યારે આવા વરસાદી વાતાવરણ વચ્ચે દુબઈ જઈ રહેલી એક ફ્લાઈટ પણ અટવાઈ હતી. જેના કારણે ૧૪૦થી પણ વધુ પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. દુબઈથી અમદાવાદની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને અમદાવાદમાં ખરાબ હવામાનના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી.

જે બાદ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૪૦થી વધુ પેસેન્જર્સને ૧૦ કલાક સુધી રાહ જાેવી પડી હતી. આ સ્થિતિ બાદ પેસેન્જર્સ પણ ગુસ્સે થયા હતા. ગુરવારે તેઓની પાસે કોઈ સામાન પણ નહોતો અને બપોર સુધી કોઈ વૈકલ્પિક ફ્લાઈટનું પણ અપડેટ મળ્યુ નહોતું. જેથી પેસેન્જર્સે પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો.

એક પેસેન્જરે કહ્યું કે, બુધવારે રાત્રે ૧.૦૦ વાગ્યાની આસપાસ ફ્લાઈટ જયપુરમાં લેન્ડ થઈ હતી. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ દ્વારા અમને પીવાનું પાણી કે જમવાનું પણ આપવામાં આવ્યું નહોતું. ફ્લાઈટમાં બાળકો સહિત વૃદ્ધ લોકો પણ હતા. જયપુર એરપોર્ટ પર અમારે ૧૦ કલાકથી પણ વધુ રાહ જાેવી પડી હતી અને કોઈ અપડેટ પણ આપવામાં આવ્યું નહોતું.

તો એક પેસેન્જરે ટિ્‌વટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં પેસેન્જર ફ્લાઈટ ઓપરેટર્સ પર બૂમો પાડતો નજરે પડી રહ્યો છે કે, આ અમારી ભૂલ છે કે અમે આ ફ્લાઈટ બૂક કરી. વૈકલ્પિક ફ્લાઈટ અંગે પણ કોઈ અપડેટ નથી. અમદાવાદમાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું છે, પરંતુ અમે લોકો હજુ પણ અહીં ફસાયેલા છીએ. મારે આવતીકાલે દુબઈ પહોંચવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.