Western Times News

Gujarati News

ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકીટનું વિતરણ

પૂર પ્રકોપમાં ફૂડ પેકેટ્સ બાદ 15 દિવસના રાશનની સહાય

ભરૂચ, તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન સતત અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ વિસ્તારના ત્રણ ગામોના અસરગ્રસ્તોને રાશનકીટ આપવામાં આવી છે.

લાભાર્થીઓમાં મંગલેશ્વર, નિકોડા અને તવર ગામના 1૦૦૦+ પરિવારોનો સમાવેશ થાય છે. આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો છે.

ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં પૂરપ્રકોપના પાણી ફરી વળ્યા હતા. પરિણામે સ્થાનિકોએ ઘર અને ઘરવખરી સહિતનો સામાન ગુમાવ્યો છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરીયાતમંદોને 15 દિવસ સુધીનું રાશન આપવામાં આવ્યું છે. રાશનકીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો ચોખા, બે કિલો તુવેરદાળ, એક કિલો મીઠું, એક લિટર તેલ, બે કિલો બટાકા, એક કિલો ડુંગળી, 100 ગ્રામ મરચું અને 100 ગ્રામ હળદરનો સમાવેશ થાય છે.

અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબહેન મિશ્રાએ જણાવ્યુ હતું કે, “અદાણી ફાઉન્ડેશન સમુદાયોના કલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહે છે. ભરૂચમાં આવેલી કુદરતી આફત બાદ જિલ્લા વહીવટી તંત્રના સૂચન મુજબ અમે શુકલતીર્થની આસપાસના ત્રણ  ગામોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું છે. ત્રણે ગામોના અસરગ્રસ્ત પરિવારોને આ કીટ પહોચાડવામાં આવી છે”.

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.