Western Times News

Gujarati News

ઇઝરાયલથી વધુ ૨૮૬ નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું

નવી દિલ્હી, પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના “ઓપરેશન અજય” હેઠળ ૨૮૬ વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના ૧૮ નાગરિકો પણ સામેલ છે.

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં ૧૮ નેપાળી નાગરિકો સહિત ૨૮૬ મુસાફરો આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી.

કેરળ સરકારના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરોમાં રાજ્યના ૨૨ લોકો હતા. અહેવાલ મુજબ, સ્પાઈસજેટ એરક્રાફ્ટ છ૩૪૦માં રવિવારે તેલ અવીવમાં લેન્ડિંગ બાદ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. સમસ્યાને દૂર કરવા માટે પ્લેનને બાદમાં જાેર્ડન રવાના કરવામાં આવ્યું હતું. સમસ્યાને ઠીક કર્યા પછી, વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી પરત ફર્યું.

આ વિમાન મૂળ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાનું હતું. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ૨૪ કલાકનો હેલ્પલાઇન નંબર શરૂ કર્યું છે જેથી ત્યાં રહેતા ભારતીયોને તમામ પ્રકારની મદદ મળી શકે. નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે જે ૨૪ કલાક ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયોની સ્થિતિ પર નજર રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.