Western Times News

Gujarati News

SoU દિપાવલી પર્વ: વિવિધ રંગોની એકતાથી ઝળહળી ઉઠ્યું એકતાનગર

SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી  રોશનીથી ઝળહળી ઉઠ્યા

નર્મદા મૈયાની આરતીમાં ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ કરાવતો લાઈટ અને સાઉન્ડ શો-સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ

પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇ વધારાની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી

નર્મદાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા આકર્ષણો ઉમેરવાના સતત પ્રયાસો ચાલું હોય છે, ત્યારે દિવાળીના પાવન પર્વને લઇ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યાં છે.

જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીનો આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે,જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત એકતાનગર નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવા આવે છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે.જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે.

મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણઃ

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. જો કોઇ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે.  એકતાનગરમાં થતી માં નર્મદાની વિશેષ આરતીનો પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે .

રંગબેરંગી લાઇટની એકતાનગરમાં રોશનીઃ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે.ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે,જેનાથી પ્રવાસીઓને રાત્રીનો એક અલગ લાઇટીંગ વાળો નજરો જોવા મળી રહ્યો છે.લાઇટીંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના ચેરમેન શ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં આ દિવાળીના વેકેશનમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે બહોળા પ્રમાણમાં એડવાન્સ બુકિંગની સાથે પ્રવાસીઓ ટિકિટ બારી પરથી પણ ટીકીટ લઇ મુલાકાત કરી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સમગ્ર એકતાનગરને રોશનીથી શણગારાયું  છે.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની ધારણાને ધ્યાનમાં લઇ તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવી રહી છે .

પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇ વધારાની વ્યવસ્થાઓ ઉભી કરાઈ.

દિવાળી વેકેશનમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની પૂરેપૂરી સંભાવનાને ધ્યાને  લઈ તેમજ અત્યાર સુધી થયેલ એડવાન્સ બુકિંગ જોતા આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા હાલ કાર્યરત ૨૨ મોટી બસ , ૩૦ ઈ બસ અન્ય ૧૦ બસ તેમજ ૧૧ મિનિબસ સહિત કુલ ૭૩ બસ ઉપલબ્ધ છે . આ ઉપરાંત એસટીની ૨૫ વધારાની બસો મંગાવી કુલ ૯૮ બસની સુવિધા કરવામાં આવી છે. આ અંગે ઓથોરિટીના નાયબ કલેક્ટર શ્રી દર્શક વિઠલાણી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પર સૂક્ષ્મ દેખરેખ રાખી રહ્યા છે અને યોગ્ય વ્યવસ્થાપન કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.