Western Times News

Gujarati News

શેરબજારમાં રોકાણના નામે ૯.૩૭ કરોડની છેતરપિંડી કેસમાં સાસુ-વહુની જામીન અરજી રદ

આર્થિક ગુનાઓને ડામવા આવશ્યક છેઃ કોર્ટ

આરોપીઓ આવા ગુના કરવા ટેવાયેલા છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે તેવી હકીકત તપાસમાં બહાર આવી

અમદાવાદ, શહેરના શેરબજારમાં રોકાણના બહાને ૯.૩૭ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગંભીર ગુનામાં પકડાયેલી સાસુ-વહુની જોડીને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યાે છે. એડિશનલ સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ જયેશકુમાર ઈશ્વરલાલ પટેલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, ગંભીર આર્થિક ગુનામાં સંડોવણી છે, આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર પુરાવા છે અને આટલી મોટી રકમની છેતરપિંડીમાં જામીન આપી શકાય નહીં. આરોપીઓ ધારાબેન મિહીરભાઈ પરીખ અને ગીતાબેન જીતેન્દ્રભાઈ પરીખ ‘એમ.પી. ફિનકોર્પ સર્વીસીસ’ નામની પેઢીમાં ભાગીદાર તરીકે કાર્યરત હતા. તેઓએ રોકાણ એજન્ટ તરીકે ઓળખ આપી ફરિયાદીને શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી હતી.

આરોપીઓએ ફરિયાદી અને તેમની કંપની ‘કેન્ઝાઈ ટેકનોલોજી’ના નામે ડીમેટ ખાતા ખોલાવ્યા હતા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૩થી ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન, આરોપીઓએ ફરિયાદીના અંગત ખાતામાંથી રૂ. ૨,૧૬,૫૦,૦૦૦ અને તેમની કંપનીના ખાતામાંથી રૂ. ૭,૨૦,૬૪,૫૮૩ મળી કુલ રૂ. ૯,૩૭,૧૪,૫૮૩ની રકમ મેળવી લીધી હતી. આ વિશ્વાસ જીતવા આરોપીઓએ કોટક સિક્યુરિટીઝ લિમિટેડના ખોટા લેટર્સ અને બનાવટી સ્ટોક પ્રોફિટ વેલ્યુએશન રિપોટ્‌ર્સ પણ આપ્યા હતા. અંતે, રોકાણ કરેલી રકમ કે નફો પરત ન મળતા ફરિયાદીએ ડીસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બન્નેને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. બન્ને આરોપીઓએ રેગ્યલુલર જામીન અરજી કરી હતી.

બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને જામીન મુક્ત કરવા વિનંતી કરી હતી. જો કે, સરકારી વકીલે જામીન અરજીનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ એક સુનિયોજિત આર્થિક કૌભાંડ છે. બંને અરજદારો પેઢીમાં ભાગીદાર છે અને મીટિંગોમાં પણ હાજર રહ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આવા ગુના કરવા ટેવાયેલા છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. ત્યારે જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દીધા છે.

કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવતા ચુકાદામાં અવલોકન કર્યું કે, એફ.આઈ.આર.માં શરૂઆતથી જ આરોપીઓના નામજોગ ઉલ્લેખ છે. આ કેસમાં રૂ. ૯.૩૭ કરોડથી વધુની રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ છે. કોર્ટે નોંધ્યું કે હાલના સમયમાં સમાજમાં આવા આર્થિક ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે ડામવા અત્યંત આવશ્યક છે. હજુ કેસની તપાસ ચાલુ છે અને ચાર્જશીટ રજૂ થઈ નથી, ત્યારે આવા ગંભીર ગુનાના આરોપીઓને જામીન પર મુક્ત કરવા યોગ્ય નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.