કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશમાં ખાંડના વધતા ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ ભારતે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અથવા આગામી આદેશ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા જારી કરાયેલ જાહેરનામા મુજબ, ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે કાચી ખાંડ, સફેદ ખાંડ અને રિફાઇન્ડ ખાંડની નિકાસની સ્થિતિ ‘પ્રતિબંધિત’ શ્રેણીમાંથી બદલીને ‘નિષેધ’ કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઓછા ઉત્પાદનની શક્યતા વચ્ચે દેશમાં ખાંડની કિંમતોને સ્થિર રાખવાનો છે.
જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે યુરોપિયન યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સને કરવામાં આવતી નિકાસ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. સીએસએલ અને ટેરિફ રેટ ક્વોટા વ્યવસ્થા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા મુજબ આ દેશોને નિકાસ ચાલુ રહેશે. આ ઉપરાંત, એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળની નિકાસ પણ વિદેશ વ્યાપાર નીતિ ૨૦૨૩ ના નિયમો મુજબ ચાલુ રહેશે. ભારત બ્રાઝિલ પછી વિશ્વનો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે.
