Western Times News

Gujarati News

“BCCI જાહેર સંસ્થા નથી, RTI હેઠળ આવે નહીં”

૨૦૧૮માં આ જ મામલે આપેલા ચુકાદાને ફેરવી તોળ્યો

સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને પોતાનો ૨૦૧૮નો ચુકાદો ફેરવી તોળ્યો, ક્રિકેટ બોર્ડ જવાબદાર નથી

નવી દિલ્હી,ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ) હેઠળ આવતી જાહેર સંસ્થા નથી અને તેથી પારદર્શી કાયદા હેઠળ તે કોઈ પણ પ્રશ્ન માટે જવાબદેય નથી તેમ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઇસી)એ સોમવારે જાહેર કર્યું હતું અને ૨૦૧૮માં આ જ મામલે આપેલા ચુકાદાને ફેરવી તોળ્યો હતો.સીઆઇસીના કમિશનર પી આર રમેશે સોમવારે જણાવ્યું હતું કે ક્રિકેટ સંચાલનને સંકળાયેલી બાબતો અંગે મહત્વની અને જાહેર પ્રવૃત્તિ આદરતું હોવા ઉપરાંત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતું હોવા છતાં તેને જાહેર સંસ્થા અને સત્તાવાળા તરીકે લઈ શકાય નહીં કેમ કે તે ના તો સરકાર દ્વારા કોઈ માલિકી, જવાબદારી કે આર્થિક બાબતો ધરાવતું નથી.

વર્તમાન કેસની હકીકતો અને સંજોગોમાં બીસીસીઆઈને માહિતી અધિકાર કાયદાની કલમ ૨(ર) ના અર્થ અંતર્ગત ‘જાહેર સત્તામંડળ’ તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અને તેથી આ કાયદાની જોગવાઈઓ તેને લાગુ પડતી નથી. તેમ ઇન્ફર્મેશન કમિશનર પી આર રમેશે તેમના આદેશમાં જણાવ્યું હતું. તેમણે બીસીસીઆઈ કઈ જોગવાઈઓ અને સત્તા હેઠળ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરે છે તે અંગેની માહિતી માંગતી અપીલને ફગાવી દેતા આમ જણાવ્યું હતું.આ ચુકાદો તત્કાલીન માહિતી કમિશનર અને જાણીતા કાયદાના પ્રોફેસર એમ. શ્રીધર આચાર્યલુના ૨૦૧૮ના આદેશને સંપૂર્ણપણે ઉલટાવે છે.

જેમણે તે સમયે બીસીસીઆઈને જાહેર સત્તામંડળ ગણાવ્યું હતું અને તેના પ્રમુખ, સચિવ તથા વહીવટદારોની સમિતિને આરટીઆઈ કાયદા હેઠળ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીઓ, મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય માહિતી આયોગ એ બીસીસીઆઈને કાયદાની કલમ ૪ હેઠળ સ્વતઃ માહિતી જાહેર કરવા અને આરટીઆઈ અરજદારને મુદ્દાસર જવાબો આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.જોકે બીસીસીઆઈએ ૨૦૧૮ના આ આદેશને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યાે હતો.

જેણે સપ્ટેમ્બર ૨૦૨૫માં, ‘બીસીસીઆઈ વિરુદ્ધ ક્રિકેટ એસોસિયેશન ઓફ બિહાર’ કેસમાં સુપ્રીમ કોર્ટના અવલોકનોને ધ્યાનમાં રાખીને પુનર્વિચારણા માટે આ મામલો સીઆઈસી ને પરત મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે આયોગે કાનૂની સ્થિતિની પુનઃ તપાસ કરીને નવો આદેશ પસાર કરવો જોઈએ.આ મુદ્દાની ફરી સમીક્ષા કરતા સીઆઈસીએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ તામિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી એક ખાનગી સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના બંધારણ, સંસદ, રાજ્ય વિધાનસભા અથવા સરકારી જાહેરનામા દ્વારા કરવામાં આવી નથી. આયોગે જણાવ્યું કે આ ક્રિકેટ સંસ્થા મીડિયા રાઇટ્‌સ (પ્રસારણ હકો), સ્પોન્સરશિપ ડીલ્સ, ટિકિટ વેચાણ, બ્રોડકાસ્ટિંગ કરારો અને વ્યાવસાયિક ક્રિકેટ કામગીરીમાંથી મેળવેલી આવક દ્વારા સ્વતંત્ર રીતે કામ કરે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.