બ્રહ્મસમાજ પર નિવેદન બદલ અનુરાગ સામે પોલીસ ફરિયાદ
સુરત કોર્ટે અનુરાગ કષ્યપ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો
ગયા વર્ષે એપ્રિલમાં હિન્દી ફિલ્મ ‘ફુલે’ના ટ્રેઇલર લોન્ચ અંગે થયેલી ટીકા પર ફિલ્મમેકરની પ્રતિક્રિયા બાદ શરૂ થયો હતો
મુંબઈ,ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બ્રહ્મસમાજ વિશે સોશિયલ મીડિયા પર કરેલાં કથિત નિવેદનોને લઈને કાનુની મુશ્કેલીમાં ફસાયા છે. સુરતની એક અદાલતે પોલીસને તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.શનિવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ. એસ. જાનીની અદાલતે આ આદેશ આપ્યો હતો. આ મામલે વકીલ અને વિશ્વ હિંદુ પરિષદના નેતા કમલેશ રાવલે ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર, અદાલતે નોંધ્યું કે ફિલ્મમેકરની પોસ્ટ્સથી એક ખાસ સમુદાયની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાની અને સામાજિક તણાવ ઊભો થવાની શક્યતા અંગે તપાસ કરવા પૂરતા આધાર દેખાય છે.
અદાલતે પોતાના આદેશમાં સત્તાધીશોને વિવિધ જુથો વચ્ચે વેરભાવ ફેલાવવો, જાહેર શાંતિનો ભંગ કરવાનો, ઇરાદાપૂર્વક અપમાન કરવું અને કથિત રીતે ભ્રામક માહિતી પ્રસારિત કરવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. ફરિયાદી કમલેશ રાવલે આરોપ મુક્યો કે અનુરાગ કશ્યપે એક્સ પર કરેલી
પોસ્ટ્સમાં બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કર્યાં હતાં. ફરિયાદ મુજબ, આ વિવાદ ગયા વર્ષે એપ્રિલમાં હિન્દી ફિલ્મ ‘ફુલે’ના ટ્રેઇલર લોન્ચ અંગે થયેલી ટીકા પર ફિલ્મમેકરની પ્રતિક્રિયા બાદ શરૂ થયો હતો.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો કે અનુરાગ કશ્યપે વાંધાજનક નિવેદનો તો કર્યા જ હતાં, સાથે જ સોશિયલ મીડિયા પર તેના વિચારોનો વિરોધ કરનારાઓને જવાબ આપતી વખતે પણ સતત આવાં નિવેદનો ચાલુ રાખ્યાં હતાં. વધુમાં એવો આરોપ છે કે આ પોસ્ટ્સે સમગ્ર બ્રહ્મસમાજનું અપમાન કર્યું અને વિવિધ સામાજિક જૂથો વચ્ચે વિભાજન ઊભું કરવાની કોશિશ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલી ફરિયાદમાં કમલેશ રાવલે દલીલ કરી કે અનુરાગ કશ્યપ જેવા જાહેર જીવનના લોકો સિનેમા અને મનોરંજન ક્ષેત્રમાં તેમના પ્રભાવને કારણે લોકો પર મોટી અસર ધરાવે છે. ફરિયાદમાં જણાવાયું કે અભિનેતાઓ અને ફિલ્મમેકર્સને વિવિધ વયજૂથનાં લોકો અનુસરે છે, જેના કારણે તેમના જાહેર નિવેદનોની અસર વ્યાપક બને છે.ss1
