Western Times News

Gujarati News

જજ વિરુદ્ધ AAP નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ ભારે પડશે

કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ -સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત કેમ્પેઈનને કારણે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે

નવી દિલ્હી, દિલ્હી દારૂ નીતિ મામલે ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ક્રિમિનલ કન્ટેમ્પ્ટના ગંભીર સકંજામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત કેમ્પેઈનને કારણે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરતા નોટિસ ફટકારી છે.

જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બનેલી ડિવિઝન બેન્ચે આ નેતાઓને ૪ સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં માત્ર અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ જેવા આપના કદાવર નેતાઓના નામ સામેલ છે.

કોર્ટે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી તમામ ‘અપમાનજનક’ સામગ્રીની સુરક્ષિત રાખવામાં આવે.

આ સમગ્ર વિવાદ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટમાંથી શરૂ થયો હતો. જસ્ટિસ શર્મા દારૂ નીતિ કેસમાં તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ જસ્ટિસ શર્મા પર પક્ષપાતની આશંકા વ્યક્ત કરીને આ કેસમાંથી હટી જવા અરજી કરી હતી.

જોકે, જસ્ટિસ શર્માએ આ અરજી ફગાવી દીધી અને પોતે જ સુનાવણી ચાલુ રાખશે તેવો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સિસોદિયાએ જસ્ટિસ શર્માને પત્ર લખીને જાહેરાત કરી દીધી કે તેઓ તેમની કોર્ટની સુનાવણીનો બહિષ્કાર કરે છે અને તેઓ વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે હાજર થશે નહીં. આ કથિત વિરોધ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ન્યાયાધીશને નિશાન બનાવતી પોસ્ટ્‌સ અને વીડિયોઝ સામે આવતા જસ્ટિસ શર્માએ પોતે જ આ નેતાઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી અને આ કેસ અન્ય બેન્ચને ટ્રાન્સફર કરી દીધો.

આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ૨૭ ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા સહિત તમામ ૨૩ આરોપીઓને આ કેસમાંથી મુક્ત કરી દીધા હતા. એટલું જ નહીં, ટ્રાયલ કોર્ટે આ કેસમાં તપાસ પદ્ધતિની પણ આકરી ટીકા કરી હતી. જોકે, ૯ માર્ચના રોજ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ પ્રાથમિક દ્રષ્ટિએ અવલોકન કર્યું હતું કે ટ્રાયલ કોર્ટના તારણો ભ્રમિત કરનારા અને ભૂલભરેલા હતા, જેના કારણે AAP નેતાઓમાં અસંતોષ વ્યાપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.