સાબરકાંઠામાં મોબાઈલ એપ આધારિત ખાતર વિતરણ વ્યવસ્થા સામે વિરોધ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ રહયો છે જેના લીધે જગતનો તાત ચિંતામાં છે. સરકાર દ્વારા રાસાયણિક ખાતરોની ખેડૂતોને જરૂર હોય તો ખાતરની મોબાઈલ એપના માધ્યમથી નોંધણી કરાવવાનું ફરજીયાત કરાયું છે
પરંતુ અનેક ખેડૂતો મોબાઈલથી ખાતરની નોંધણી કરાવવા માટે કલાકો સુધી મોબાઈલમાં મથામણ કરતા હોવા છતાં નોંધણી કરવામાં તથા ખાતરનો જથ્થો નોંધાવવામાં મુશ્કેલી પડી રહી છે જેથી ખેડૂતોની માંગ છે કે અગાઉની જુની પધ્ધતિ યથાવત રાખવી જોઈએ જેના માટે તાજેતરમાં સેવા સહકારી મંડળીઓએ વાંધો ઉઠાવ્યો છે.
જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પીએસઓના માધ્યમથી સહકારી સંસ્થાઓમાં ખેડુતોને જરૂર પડે ત્યારે આધારકાર્ડના માધ્યમથી જરૂરી રાસાયણિક ખાતરો ખરીદી શકતા હતા
પરંતુ સરકારે સાબરકાંઠા અને અન્ય એક જિલ્લામાં ખાતરની ખરીદી માટે મોબાઈલ એપનો પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોને ખાતરની ખરીદી કરી હોય તો પોતાના મોબાઈલના માધ્યમથી એપ પર નોંધણી કરાવવાનું ફરજીયાત કરાયું છે. પરંતુ મોટાભાગના ખેડૂતો પાસે સ્માર્ટ મોબાઈલ ન હોવાને કારણે તેઓ નોંધણી કરાવી શકતા નથી
જેથી આ પધ્ધતિ રદ કરવાના આશયથી તાજેતરમાં ખેડૂતના હિત માટે કામ કરતી સહકારી સંસ્થાઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જૂની પદ્ધતિ યથાવત રાખવાની માંગ કરી છે.
