Western Times News

Gujarati News

ચાલુ વર્ષે પાટણની ૧૩ શાળાઓના ૧૨૪ બ્લોકમાં ૨,૪૨૦ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર વિદ્યાર્થીઓના થર્મલ ગનથી ચેકીંગ ઉપરાંત સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે પરીક્ષા અગાઉ સંકુલને સેનેટાઈઝ કરાશે

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષાના આયોજન સંદર્ભે યોજાઈ બેઠક, ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પુરક પરીક્ષાઓ અંગે પણ કરાઈ ચર્ચા

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

માહિતી બ્યુરો પાટણ: જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૪ ઓગષ્ટના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૦ પરીક્ષાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે બેઠક વ્યવસ્થા અને થર્મલ ગનથી ચેકીંગ સહિતની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી.

પાટણ જિલ્લામાં વર્ષ-૨૦૨૦ની ગુજકેટ પરીક્ષા માટે ૧૩ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આગામી તા.૨૪ ઓગષ્ટના રોજ ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તથા મેથ્સ વિષયોની કુલ ત્રણ તબક્કામાં લેવાનાર પરીક્ષા માટે ૧૩ પરીક્ષા કેન્દ્રોના ૧૨૪ બ્લોક્સમાં કુલ ૨,૪૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોના પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે તથા પ્રવેશ સમયે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગન દ્વારા ચેકીંગ કરવામાં આવશે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજીક અંતર જળવાય તે માટે એક બ્લોકમાં માત્ર ૨૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સ્વચ્છતા જળવાય, વૉશરૂમમાં હાથ ધોવાની વ્યવસ્થા તથા સંકુલને સેનેટાઈઝ કરવા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. ચાલુ વર્ષે યોજાનાર ગુજકેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓળખપત્ર, સાદા કેલ્ક્યુલેટર અને પેન સાથે પીવાના પાણીની પારદર્શક બોટલ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાએ જણાવ્યું હતું કે, આ જ પ્રકારની વ્યવસ્થા સાથે તા.૨૫થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન ધોરણ ૧૦ની પુરક પરીક્ષા યોજવામાં આવશે. જેમાં ૧૮ પરીક્ષા કેન્દ્રોના ૧૭૮ બ્લોકમાં ૩,૪૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ તા.૨૫થી ૨૭ ઓગષ્ટ દરમ્યાન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા પણ યોજાશે. જેમાં ૩ પરીક્ષા કેન્દ્રોના ૨૨ બ્લોકમાં ૪૩૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

કોરોના વાયરસ મહામારીના પગલે ગુજકેટ-૨૦૨૦ તથા ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાના પરિક્ષાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જરૂરી સાવચેતી સાથે પરીક્ષા આપી શકે તે માટે ઓબ્ઝર્વરશ્રીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી હોય તેવા અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.