Western Times News

Gujarati News

ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાનો આક્ષેપ કરાયો

કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરી-એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો, છેલ્લા ૮ વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ કરે છે
મહેસાણા, મોઢેરા ખાતે જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મોઢેરા પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે. એવી માહિતી મળી છે કે પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હતી. જે બાદમાં માર મરાયાનો આક્ષેપ કાજલ મહેરિયા તરફથી કરવામાં આવ્યો છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા વ્યક્તિના ઘરે જ્યારે કાજલ મહેરિયા ગઈ હતી ત્યારે તેને લાફો ઝીંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કાજલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરતા વ્યક્તિના ભાઈના અખરઅંતર પૂછવા માટે ગઈ હતી.

નોંધનીય છે કે કાજલ મહેરિયાના અનેક ગીતો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. ‘મળ્યા માના આશીર્વાદ’ તેનું ખૂબ જાણીતું ગીત છે. એવી માહિતી મળી છે કે કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા બાબખાનના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેણી પણ હુમલો થયો હતો. એવી માહિતી મળી છે કે બાબખાનના ભાઈની તબિયત પૂછવા માટે કાજલ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે બાબખાનના કેટલાક વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાબખાન સાથે બોલાચાલી કરી હતી.

આ દરમિયાન બાબખાનના ઘરે આવી પહોંચેલા તત્વોએ કાજલ સાથે ગાળાગાળી કરી હતી અને તેણી પર હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાજલ મહેરિયાનો જન્મ વિસનગરના ગોઠવા ગામ ખાતે ૨૧ નવેમ્બર ૧૯૯૨ થયો હતો. કાજલના પિતા ખેડૂત છે. કાજલના અનેક ગીત, ગરબા, ભજન, ભક્તિ ગીતો વગેરે પ્રસિદ્ધ થયા છે. કાજલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.

કાજલ મહેરિયાએ એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો છે. છેલ્લા આઠેક વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ કરી રહી છે. કોરોના કાળ દરમિયાન પણ કાજલ અનેક વખત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી ચૂકી છે. ટિકટોકનો બહિષ્કાર કર્યો હતો ઃ ભારત અને ચીન વચ્ચે ગલવાન ખાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા. જે બાદમાં કાજલે ચીની વસ્તુઓના બહિષ્કારની અપીલ કરી હતી. એટલું જ નહીં ચાઇનીઝ એપ ટિકટોક પર ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ હોવા છતાં તેણીએ ટિકટોક એપ્લિકેશન ડિલિટ કરી દીધી હતી. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.