Western Times News

Gujarati News

હેરીટેજ સીટીમાં નામશેષ થઈ રહેલ હેરીટેજ મિલ્કતો

ઐતિહાસિક મિલ્કતોનું થઈ રહેલ વ્યાપારીકરણ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, હેરીટેજ સીટી અમદાવાદમાંથી હેરીટેજ મિલ્કતો નામશેષ થઈ રહી છે. ભારતના સર્વ પ્રથમ હેરીટેજ સીટીનો દરજજાે મળ્યા બાદ હરખઘેલા થયેલા શાસકો હેરીટેઝ મિલ્કતોની સાચવણી કરી શકયા નથી જેના કારણે હેરીટેજ મિલ્કતો તૂટી તેના સ્થાને કોમર્શીયલ પ્રકારના બાંધકામ થઈ રહયા છે તેમજ દિવસે- દિવસે ઐતિહાસિક મિલ્કતો ઓછી થઈ રહી છે. મ્યુનિ. હેરીટેજ વિભાગ દ્વારા લગભગ દોઢ વર્ષ પહેલા ઐતિહાસિક મિલ્કતોમાં ચાલી રહેલા રહેણાંક કે કોમર્શીયલ પ્રકારના બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે મધ્યઝોન એસ્ટેટ વિભાગને યાદી સંખ્યામાં આવી હતી જે પૈકી આંગળીના વેઢે ગણી શકાય તેટલા બાંધકામો સામે કાર્યવાહી થઈ છે જયારે બાકીના બાંધકામો પ્લાન મંજુર કરવાના ઓથા હેઠળ બક્ષવામાં આવ્યા છે મધ્યઝોન એસ્ટેટ ખાતાની રહેમનજર હોવાથી ઐતિહાસિક મિલ્કતોના વ્યાપારીકરણ કરવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

શહેરની ઐતિહાસિક મિલ્કતો મામલે શરૂઆત થી જ વિવાદ રહયો છે. ર૦૦૦ થી ર૦૧૦ સુધીના સમયગાળા દરમ્યાન ૧રપ૦૦ ઐતિહાસિક મિલ્કતો હોવાની જાહેરાતો કરવામાં આવી હતી. તથા હેરીટેજ પ્રોપર્ટી ની સાચવણી તથા મરામત માટે ખાસ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ર૦૧૧ ની ર૦૧૬ સુધીના સમયગાળામાં સેપ્ટને સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. સેપ્ટે તેના સર્વેમાં દસ હજાર હેરીટેજ મિલ્કતો ગાયબ કરી હતી. જેનો મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભાવોએ સ્વીકાર કર્યો હતો.

સેપ્ટના સર્વે મુજબ મધ્યઝોનના શાહપુર, ખાડીયા, કાલુપુર (જુના વોર્ડ), જમાલપુર તથા રાયખડ તથા દરીયાપુર વોર્ડમાં કુલ રર૩૬ રહેણાંક પ્રકારની હેરીટેજ મિલ્કતો છે. તથા ઈન્સ્ટીટયુનલ પ્રકારની ૪૪૯ મિલ્કતો મળી કુલ ર૯૮પ ઐતિહાસિક મિલકતો છે.  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેપ્ટના સર્વે મુજબ જ યુનેસ્કોમાં ડોઝીયર મોકલવામાં આવ્યું હતું. સેપ્ટના સર્વેમાંથી દસ હજાર મિલ્કતો કેવી રીતે ગાયબ થઈ તેની તપાસ કરવાની તસ્દી શાસકો અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી ન હતી. તેવી જ રીતે છેલ્લા સર્વે મુજબ જે ર૯૮પ મિલ્કતો છે. તેમાંથી પણ લગભગ ર૦ ટકા મિલ્કતો ઓછી થઈ ગઈ છે. જેના માટે મધ્યઝોન એસ્ટેટ વિભાગ ભૂ-માફીયાઓ અને રાજકારણીઓ જવાબદાર છે.

હેરીટેજ કમીટીને આ ગોરખધંધાની જાણ થતા કમીટી સભ્યો દ્વારા ખાસ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. તથા જે હેરીટેજ મિલ્કતોને તેના સ્થાને નવા બાંધકામો ચાલી રહયા છે.  તેને સીલ કરવા માટે મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર લેખીત યાદી મોકલવામાં આવી હતી. હેરીટેજ કમીટીએ કંસારાની પોળ (મહાજન વંડો જમાલપુર વોર્ડ) વેરાઈપાડાની પોળ (ખાડીયા-૧), છીપા પોળ, (કાલુપુર-૩) શ્રી રામજીની શેરી (ખાડીયા-૩) સરકારીવાડ (ખાડીયા-૧) ચાંદલાઓળ (ખાડીય-૩) માં બે મિલકતો તથા તળીયાની પોળ, સરકીવાડ સામે (ખાડીયા-૧) ની મિલ્કતો સીલ કરવા માટે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસરને ભલામણ કરી હતી. એસ્ટેટ ખાતાની રહેમ નજરે જ આ બાંધકામો થઈ રહયા હોવાથી ૧૦૦ ટકા કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ તેના સ્થાને સેપ્ટ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે પહેલા જે મિલ્કતોમાં દુકાનો બની હતી તેને સીલ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ મધ્યઝોન એસ્ટેટ વિભાગે રાજા મહેતા ની પોળ (કાલુપુર) વેરાઈપાડાની પોળ (કાલુપુર) ચાંલ્લા પોળ (ખાડીય) માંડવીની પોળ (જમાલપુર-ર) છીપા પોળ (કાલુપુર) તથા શ્રીરામજીની શેરી (ખાડીયા) ની મિલ્કતો સીલ કરી હતી.
હેરીટેઝ કમીટીની વારંવાર ટકોર છતાં ઐતિહાસિક મિલ્કતોમાં કોમર્શીયલ પ્રકારના બાંધકામ થઈ રહયા છે. ટી ગર્ડર પર રીપેર કરવાના નામે પ્લાન મંજુર કરાવી નવેસરથી કોમર્શીયલ પ્રકારના બાંધકામો કરવાનો ગોરખધંધો હાલ પણ ચાલી રહયો છ.

ખાડીયાના સામાજિક કાર્યકર નિશિથ સિંગાપોરવાળા ના જણાવ્યા મુજબ કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ મકાનોને નેસ્ત નાબૂદ કરવામાંભૂમાફિયા તથા મ્યુનિસિપલ અધિકારીઓની મજબૂત સાંઠગાંઠ જવાબદાર છે.હેરિટેજ મકાનોની જાહેર કરેલા આવતા મકાનોને રીસ્ટોર કે રીપેર કરવા અંગે એક પોલીસી હેરિટેજ સેલ તરફથી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી મુજબ હેરીટેજ મકાન નુ બહારથી કલાત્મક સ્ટ્રક્ચર રાખવુ અને તેને અંદરથી રીપેરીંગ રીસ્ટોર કરવામાં આવે તેવી જોગવાઈ છે.

આઅંગે હેરીટેજખાતા ઘ્વારા માર્ગદર્શન તેમજ મકાનની એફ.એસ. આઇ.નો લાભ આપવામાં આવે .છે પણ આઅંગે નો આડકતરી રીતે ખોટી રજૂઆત અને ભ્રમ ઉભોક રી હેરીટેજ મકાન રીસ્ટોર કરવાના પ્લાન મજુર કરાવી અમૂક લોકો આનો ગેરલાભ ઉઠાવે છે.અને હેરિટેજ મકાનને મનસ્વી રીતે નવેસરથી પાયામાંથી ઉભુ કરવામા આવેછે તેઅંગે નગરવિકાસ ખાતાં ના અધિકારીઓ તેમજ હેરિટેજ ખાતાના અધિકારીઓ ને પ્લાન અંગે રજા ચીઠ્ઠી આપયા બાદ સ્થળ ઉપર તબકા વાર નિરક્ષણ કરવાનુ ફરજિયાત હોયછે પણ તે ફકત કાગળ ઉપર બતાવી સ્થળ ઉપરની વાસ્તવિકતા કાઇક અલગ હોયછે આમ છેલ્લા કેટલાય સમય થી આવુ મોટુ ષડયંત્ર ચાલી રહયુ છે તેનુ તાજુ ઉદાહરણ હેરીટેજ ની યાદીમાં આવતા મકાનો છે જેને હાલમાં જમીનદોસ્ત કરી હેરીટેજ સ્ટ્રક્ચર સંપૂર્ણ ઉતારી નવેસર થી બાધકામ ટી ગર્ડર આર.સી.સી.ના બાંધકામ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.