Western Times News

Gujarati News

નીતિશ કુમાર ૧૬મી નવેમ્બરે મુખ્યમંત્રીપદે શપથ લઈ શકે છે

પટણા: બિહારમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. ચૂંટણી પંચ આજે રાજ્યપાલને નવા વિધાયકોની સૂચિ સોંપશે. રાજભવનમાં સૂચિ આવ્યા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ૧૬મી વિધાનસભાનો કાર્યકાળ ૨૯ નવેમ્બરે પૂરો થાય છે. આથી નવી સરકારની રચના તે પહેલા થઈ જવી જોઈએ. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ૧૬ નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. નીતિશકુમાર આ વખતે સાતમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

સૌથી પહેલા તેમણે વર્ષ ૨૦૦૦માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ બાજુ ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે રાજ્યમાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળ જ સરકાર બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ નીતિશકુમાર ૧૬ નવેમ્બરે શપથ લઈ શકે છે. ૭મી વાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા નીતિશકુમાર આજે મીડિયા સાથે વાત કરી શકે છે. બુધવારે રાતે જેડીયુની કોર કમિટીની બેઠક થઈ હતી.

જેમાં સરકારની રચના અંગે મંથન થયું. જો કે ભાજપના મોટા નેતાઓની સાથે મંથન બાદ જ સરકારના સ્વરૂપ પર ર્નિણય લેવાશે. અત્રે જણાવવાનું કે બિહારમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યો છે. તમામ એક્ઝિટ પોલને નકારતા ભાજપના નેતૃત્વવાળી એનડીએ ફરીથી બિહારમાં સત્તા પર આવશે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે જેડીયુ ત્રીજા નંબરે આવી છે. ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે જેડીયુને ઓછી બેઠકો છતાં નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે.

જો કે ડેપ્યુટી સીએમ કોણ બનશે તે હજુ નક્કી નથી. આ અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ ર્નિણય લેવાશે. એવી અટકળો હતી કે નીતિશની જગ્યાએ ભાજપના કોઈ અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. કારણ કે પાર્ટીને જેડીયુ કરતા વધુ બેઠકો મળી છે. પરંતુ ભાજપે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. મુખ્યમંત્રી નીતિશકુમારે એનડીએની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે જનતા માલિક છે. એનડીએને જે બહુમત મળ્યું તે માટે જનતા જનાર્દનને નમન છે.

હું પીએમ મોદીને તેમના સહયોગ માટે ધન્યવાદ આપુ છું. ભલે નીતિશકુમાર ફરીથી મુખ્યમંત્રી બની રહ્યા હોય પરંતુ બિહાર ચૂંટણીના પરિણામોએ નીતિશકુમારની ચિંતા ચોક્કસપણે વધારી છે. આ બાજુ હાર બાદ મહાગઠબંધનમાં મંથન શરૂ થઈ ગયુ છે. તેજસ્વી યાદવે મહાગઠબંધનના તમામ ધારાસભ્યોને આજે સવારે ૧૦ વાગે લાલુ નિવાસ પર બોલાવ્યા છે. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.