Western Times News

Gujarati News

દેશના નવા સંસદ ભવન પ્રોજકટનુ ભૂમિ પૂજન 10 ડિસેમ્બરે પીએમ મોદીના હસ્તે

Files Photo

નવી દિલ્હી,  દિલ્હીમાં બનવા જઈ રહેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બરે પીએમ મોદીના હાથે થશે.

હાલનુ સંસદ ભવન બહુ જુનુ છે અને નાનુ પણ પડી રહ્યુ છે.એટલે નવા સંસદ પરિસરની જરુરિયાત હોવાનુ કારણ કેન્દ્ર સરકાર આપી રહી છે.ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવનાર છે.આ સંસદ ભવન ત્રીકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે.

આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.

નવા સંસદ ભવનનુ નિર્માણ 850 કરોડ રુપિયાના ખર્ચે થશે..હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે.2022 સુધીમાં તેનુ બાંધકામ પુરુ કરાવની યોજના છે.આ જ વર્ષે દેશ આઝાદીના 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે ત્યારે સરકાર કદાચ નવા સંસદ ભવનમાં બેસીને તેની ઉજવણી કરશે.

સંસદની નવી ઈમારત 65000 ચોરસ મીટરમાં ફેલાયેલી હશે.ત્રછણ માળની ઈમારતની ડિઝાઈન એવી હશે કે આકાશમાંથી જોતા તે ત્રણ રંગની કિરણો જેવી દેખાય.સંસદની નવી ઈમારતમાં 900 બેઠકો હશે.જેથી ભવિષ્યમાં સંસદ સભ્યોની સખ્યા વધે તો વાંધો ના આવે.

નવી ઈમારતમાં એક બંધારણીય હોલ પણ હશે.જેમાં ભારતની લોકશાહીના ઇતિહાસને રજૂ કરાશે.સંસદ સભ્યો માટે લોન્જ, પુસ્તકાલય, વિવિધ સમિતિઓ માટેના રુમ, કેન્ટીન, વાહન પાર્કિંગ જેવી સુવિધાઓ પણ હશે.નવી સંસદની ડિઝાઈન અમદાવાદના ગુજરાતી આર્કિટેક્ટે તૈયાર કરી છે.

હાલના સંસદ ભવનનુ નિર્માણ 1921માં શરુ થયુ હતુ અને તે વખતે તેની પાછળ 83 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.