Western Times News

Gujarati News

વિશ્વની મહાવ્યાધિ: છેલ્લા ઘણાં સમયથી કોરોનાના જીવાણુ  સ્વરૂપમાં પ્રગટ થઈ છે

Files Photo

વિશ્વમાં દ્વિતિય વિશ્વયુદ્ધ પછીની મોટી મહાવ્યાધિ છેલ્લા ઘણાં સમયથી કોરોનાના જીવાણુ  સ્વરૂપમાં પ્રગટ થયેલ છે. જેને પરિણામે વિશ્વમાં વસવાટ કરતાં માનવજીવનની હાલત ખૂબ જ કફોડી થઇ ગયેલ છે. આ મહાવ્યાધિએ અનેક પ્રકારના સામાજિક અને આર્થિક દુઃખોને પણ તેટલી જ આમંત્રી રહી છે. જેને કારણે આજે વિશ્વમાં અનેક લોકોને અનેક ઘણું સહન કરવું પડે છે અને કેટલીક વ્યક્તિઓએ પોતાના આત્મજનોને ગુમાવવાનો વારો પણ આવેલ છે.

ટી.બી.,બીપી, ડાયબીટીસ જેવી બીમારી થયેલ હોય તેવા  લોકોને આ ચેપની વધુ પ્રમાણમાં અસર થઇ રહેલ છે. મોટી ઉંમરની વ્યકિતઓ અને નાની ઉંમરનાં બાળકોને પણ આ રોગ લાગુ પડે તો તેઓ માટે ખતરાની નિશાની ગણવામાં આવે છે.

આવી જ બે વ્યકિત જે જૈફ વયે પહોચેલ અને સાથે દાંપત્ય જીવન ગુજારી રહેલ હતી. તે આજે આ મહાવ્યાધિનો  ભોગ બનીને તેમને શહેરની નવી જ તૈયાર થયેલ ગગનચુંબી ઇમારત માં તૈયાર કરવામાં આવેલ આલીશાન હોસ્પિટલના દાખલ થવાનો સમય આવી ગયેલ હતો.

બંને વ્યકિત ઉંમરમાં સરખીકહી શકીએ તેવી હતી. રમણીકભાઈ, તેઓની ઉંમર ૭૧ વર્ષની હશે તેઓ સરકારશ્રીમાં ઉચ્ચ હોદ્દા પર ૩૦ વર્ષ સુધી તેમની ફરજ બજાવી વયમર્યાદાને કારણે નોકરીમાંથી નિવૃત્ત થઇ અને ઘરે સુખમય નિવૃત જીવન વિતાવી રહ્યા હતા.

તેમને આ વિશ્વ વ્યાધિ કોરોના દવાખાનાના બિછાને લઈ આવ્યો હતો. વધુમાં સાથે  તેમના ધર્મ પત્ની રમાગૌરી પણ આજે ૬૬ વર્ષની જૈફ વયે આ મહામારીનો ભોગ બનેલ હતા. આમ બંને પતિ-પત્ની સાથે પોતાના ૨૮ થી વધુ વર્ષના દાંપત્ય જીવન ગુજારતાં ગુજારતાં તેમની જૈફ વયે વિશ્વની આ ભયાનક બિમારીમાં તેઓ સપડાઇ જતાં તેમને પણ આજે આ દવાખાનામાં દાખલ થવાનો સમય આવ્યો હતો.

બંનેનું દાંપત્યજીવન તેઓ તેમની ઢળતી ઉંમરે બંન્ને એકલાં વિતાવી રહેલ હતાં, કારણ તેમના દાંપત્ય જીવન દરમ્યાન બે દીકરીઓને જન્મ આપેલ, બંને દીકરીઓ ને સમયાંતરે પરણાવી દીકરીઓ પણ તેમનું દાંપત્ય જીવન તેમનાં બાળકો સાથે વિદેશમાં વિતાવી રહેલ હતી. અહીંયા સુરત ખાતે બંને પતિ-પત્ની તેમનું દાંપત્ય જીવન સુખરૂપ રીતે વિતાવી રહેલ હતાં. તેવામા જ આ ભયાનક બીમારી પુરા વિશ્વમાં હાહાકાર મચાવતી આવી જેનાથી ભારત પણ કેવી રીતે બાકાત રહે ? અને ન જ રહ્યું, અને આજે આ બીમારીનો ભોગ બનતાં બંને પતિ-પત્નીને આ ગગનચુંબી ઇમારતમાં હોસ્પીટલ ના બિછાને આવવાનો સમય આવ્યો હતો.

વિશ્વમાં એક નંબરની લોકશાહીને પ્રસ્થાપિત કરનાર આપણો ૧૩૦ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતો ભારત દેશ જેણે પૂજય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ,  જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ જેવી વિભૂતિઓને આ દેશની ધરતી પર જન્મ આપેલ કે જેઓએ પણ અગાઉ ‘પ્લેગ‘ જેવી અત્યંત મહામારીમાં દેશની પરિસ્થિતિ ને નિહાળી હતી, આજે તેવી પરિસ્થિતિ આપણા દેશ પર આવી પડેલ છે. આપણા દેશની કરોડોની જનસંખ્યા તેમાં ગલીઓ-પોળો-ચાલીઓ જેવા ગીચ વિસ્તારો કે જયાં બે મકાનોની વચ્ચે માંડ ત્રણ-ચાર ફુટની જગા હોય તેવા વિસ્તારોમાં આ રોગે તો માઝા મુકી હતી. અને ધીમે ડગલે રોગનો વ્યાપ સોસાયટીઓ સુધી પણ પહોંચી ગયો હતો.

શરુઆતમાં રોગની ભયાનકતા એટલી હતી કે આ રોગનો ચેપ લાગે અને સાથે જો અન્ય બીમારી ટી.બી-ડાયબીટસથી પીડાતા હોય તેવા મોટી ઉંમરે પહોંચેલા ઘણા વૃધ્ધોને વૈકુંઠધામ પહોંચી જવાનો સમય આવેલ હતો.

બીજા વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ મહાવ્યાધિને ડામવાં સારૂ આગોતરા પગલાં લઇને લોકડાઉન જાહેર કરવામાં આવેલ અને રોગને કાબુમાં લેવાના પ્રયત્નો કરેલ હતાં. અને તેઓએ સમગ્રપ્રજાજનોને નમ્ર અપીલ કરી હતી કે ‘ઘરે રહો સુરક્ષિત રહો‘. ‘STAY AT HOME & LIVE SAFE.’

જૈફ વયે પહોંચેલ દંપતિ પોતાની પાછલી ઉંમરમાં દાંપત્ય જીવન વિતાવી રહેલ હતાં. બંને એકલાં હતાં. ઘરમાં જીવન જરુરી ચીજ વસ્તુની જરુરત પડે તે લાવવી તો પડે જ. આ કારણે ઘરરની બહાર નીકળવામાં આ મોટી મહામારીનો ભોગ આ બંને વ્યક્તિ સાથે બનવા પામેલ અને દવાખાનામાં પણ સાથે સાથે નજીકના પલંગમાં વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

સરકાર દ્વારા દવાખાનામાં જ પૂરેપૂરી સગવડ નો ખ્યાલ રાખવામાં આવતો હતો. દવાખાનામાં જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ચા-નાસ્તો જમવાનું સારી કક્ષાનું આપવામાં આવતું હતું. બીજુ દેશમાં લોકડાઉન (lockdown)  ની પરિસ્થિતિ ને અનુસરીને દવાખાનામાં પણ જે દર્દીઓ તથા ડોક્ટરો, નર્સો, આયાબેન, સફાઈ કર્મચારી સિવાય કોઈની અવરજવર નજરમાં આવતી ન હતી. હોસ્પિટલમાં તમામ સ્ટાફ દ્વારા દરેક દર્દીઓની સાર સંભાળ રાખવામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવતી ન હતી.

બંને પતિ-પત્ની અને તેઓ એક સાથે રહેતા હોવાને કારણે ચેપ લાગતાં દવાખાનામાં દાખલ કરવામાં આવેલ હતા. પતિ-પત્નીને નજીક નજીકમાં પલંગ ની વ્યવસ્થા  હોવાને કારણે એકબીજા ને હુંફ આપી શકે અને વાતચીત કરી શકે.  સ્ટાફ પણ બંનેની તેમજ દાખલ થયેલ અન્યદર્દીઓની સુંદર રીતે સહાનુભુતિપૂર્વક કાળજી રાખતા હતાં. તમામ દર્દીઓને માસ્ક તેમજ માથે ટોપી ફરજિયાત ઉપયોગ કરવાનું કહેવામાં આવતું જેને કારણે ચેપી રોગ વધુ પ્રમાણમાં ફેલાવો થતો અટકાવી શકાય.

બંને સાથે દાંપત્ય જીવન ગુજારતાં ગુજારતાં આજે આ દુઃખની ઘડીમાં એકબીજાની સાથે હોસ્પીટલમાં પણ સામે હાથ/આંખના ઇશારા ને સહારે એક બીજાને સાંત્વના આપી રહ્યા હતા અને કહેતાં કે પરમ કૃપાળુ પરમાત્મા આપણને તેમજ અન્ય દર્દીઓને પણ જરૂરથી સાજા કરી દેશે અને આ બીમારીમાંથી મુક્ત કરી દેશે અને આપણે આપણા ઘરે સુખરૂપ રીતે પહોંચીશું,  એવી સાંત્વના આપતાં હતા.

જીવનમાં ઈશ્વરે જે કંઈ લખ્યું છે તે કોઇ કાળે મિથ્યા થઇ શકતું  નથી સમય સમયનું કામ કર્યા કરે છે અને ઘડીયાળનો કાંટો પણ તેની રીતે ફરતો રહે છે. તેમ દિવસ પસાર થઈ રહ્યા હતા, તેવામાં એક દિવસ સાંજનું જમવાનું જમીને બંને પતિ-પત્ની તેમના પલંગ માં બેઠા બેઠા એકબીજાની સાથે વાતો કરતાં-કરતાં સમય થતાં સુઈ ગયા. આઇસોલેશન વોર્ડનો સ્ટાફ પણ  તેમની જગાએ કાર્યરત હતો. ધીમે પગલે રાત્રીનું આગમન થઇ ગયું હતું અને નીરવ શાંતિ પથરાઈ રહી હતી.

તેવામાં જ રમણીકભાઈની તબિયત એકાએક બગડી તેમને શ્વાસ ઉધરસ ની તકલીફ વધુ થવા લાગી. તેમણે તેમની નજીક ના પલંગ માં સુઈ રહેલી તેમની પત્ની ‘રમા’ તરફ આંખ ફેરવી અને જોયું તો ‘રમા’ પણ અત્યારે રાત પડવાને કારણે નિયમ અનુસાર મોઢા ઉપર માસ્ક અને માથે  ટોપી પહેરી હતી અને તે પણ સૂઈ ગયેલ હતી.

મહામૂલી આ જિંદગીના દાંપત્યજીવનમાં અનેરો સહકાર તો અરસપરસને પ્રદાન કરેલ હતો જ અને આજે આ ભયંકર બીમારીમાં પણ તે સાથે જ હતી. રમણીકભાઈને બેચેની જેવું લાગતા તેઓ સહેજ ઊભા થવાનો પ્રયત્ન કરેલ પણ તેમના પગ બરાબર જકડાઈ ગયા હતા આમ છતાં તે મહાપરાણે ઉભા થયા. તેમને એકદમ શ્વાસ  લેવામાં તકલીફ ઉભી થયેલ હતી અને ઉધરસ આવવા માંડી હતી. આમ છતાં ધીમે ધીમે ઉભા થઇ તેમના પત્નીનો પલંગ હતો ત્યાં ગયા અને પલંગમાં જઈ બેસી ગયા.

તેમણે પત્નીના પલંગમાં બેસીને પત્નીનો હાથ પકડીને ઉઠાડવાનો પ્રયત્ન કરેલ, જો ‘રમા’ હું તારી સાથે તારી સમક્ષ આવ્યો છું. મને આજે એમ લાગી રહેલ છે કે આજે મારી અંતિમ પળ અંતિમ દિવસ આવી ગયેલ છે આથી મારે એ પળને તારી સામે વિતાવવી છે. રમણીકભાઇએ આમ કરવા છતાં તેમને કાંઇ જ પ્રતિક્રિયા જોવા ન મળી, આથી તેમણે તેમની પત્નીનો હાથ પોતાના હાથમાં લીધો

અને હાથ પકડ્યો તો….શું, તેઓ એકદમ ચોંકી ગયા….તેમની પત્નીનો હાથ એકદમા ઠંડો પડી ગયેલ હતો. તેમનાથી એકદમ મોટી ચીસ પડાઇ ગઇ ડોકટર…..ડોકટર….રાત્રિની નીરવ શાંતિમાં રમણીકભાઇના અવાજે સૌને જાગૃત કરી દીધાં. બધાં સુઇ રહેલ દર્દીઓ પણ એકદમ જાગી ગયા, બૂમ સાંભળી સ્ટાફ પણ હાંફળા ફાંફળા થઇ દોડતાં દોડતાં આવ્યા. ડોકટર દ્વારા રમાગૌરીનો હાથ લઇ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી. વોર્ડમાં બધાં ઉઠી ગયેલ પરંતુ એકદમ શાંતી પથરાઇ ગઇ હતી.

ડોકટરે તપાસ પુરી કરી, અંતે રમણીકભાઇને ધીમે રહી કહેવા ગયા કે,……….રમાબેન આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયેલ છે. ડોકટર દ્વારા આ પ્રમાણે રમણીકભાઇને કહેવા છતાં તેમના તરફથી પણ કોઇ પ્રતિક્રિયા જોવામાં ન આવી….ડોકટરે રમણીકભાઇનો ખભો હલાવ્યો ત્યાં તો તેઓ પણ ઢળી પડ્યા. આમ આ વિશ્વ વ્યાધીએ એક દંપતિનો એક સાથે ભોગ લીધો. સાથે જ દાંપત્યજીવન વીતાવી આજે સ્વર્ગલોકમાં પણ સાથે જ વિદાય લીધી.

આવા અત્યંત કરૂણાજનક દ્રશ્યને નિહાળી વોર્ડમાં પણ સન્નાટો છવાઇ ગયો હતો. સારવાર લઇ રહેલ દર્દીઓ તેમજ તેમજ સ્ટાફની આંખોમાંથી પણ અશ્રૃધારાઓ વહેવા માંડી હતી. -દિપક એમ. ચિટણીસ (ડીએમસી) [email protected]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.