Western Times News

Gujarati News

નિત્યાનંદે કૈલાસા માટે શરૂ કરી વીઝા-ફ્લાઈટ સર્વિસ

બેંગલુરુ: રેપ કેસના આરોપી અને ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદે પોતાના બનાવેલા દેશ કૈલાસા માટે વીઝાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદે કલાસા નામથી પોતાનો દેશ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. હવે, તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ભક્તોને કૈલાસા આવવા વીઝા માટે અપ્લાય કરવાની અપીલ કરી રહ્યો છે. વિડીયોમાં નિત્યાનંદ જણાવી રહ્યો છે કે,

કૈલાસા આવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ સર્વિસ પણ છે. તેણે વિડીયોમાં એમ પણ જણાવ્યું કે, અહીં આવનારી વ્યક્તિને માત્ર ત્રણ દિવસ જ રોકાવા દેવાશે. નિત્યાનંદે કૈલાસ આવવાનો રૂટ મેપ પણ આપ્યો છે. નિત્યાનંદે પોતાના ભક્તોને ફ્લાઈટથી ઓસ્ટ્રેલિયા આવવા કહ્યું છે. તે પછી કૈલાસા સુધી આવવા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા હશે. એવા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નિત્યાનંદ સ્વઘોષિત કૈલાસા સામ્રાજ્યની આસપાસ કોઈ સ્થળે છે.

નિત્યાનંદે દાવો કર્યો કે, આ યાત્રામાં આવનારા ભક્તોને શિવ દર્શન પણ કરાવાશે. ઉલ્લેખનીય છે કે, રેપ કેસમાં ફરાર આરોપી નિત્યાનંદ ગત વર્ષથી પોતાનું કૈલાસા સામ્રાજ્ય વસાવ્યું હોવાનો દાવો કરતો હતો. ત્યારથી અત્યાર સુધી તેના ઘણા વિડીયો સામે આવી ચૂક્યા છે. તેમાં તેણે કૈલાસા વિશે ઘણી જાણકારી આપી છે. એવો પણ દાવો કરાયો કે, કૈલાસામાં અલગ કરન્સી, રિઝર્વ બેંક અને અન્ય સુવિધાઓ પણ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રેપ કેસમાં આરોપી ‘સ્વયંભૂ બાબા’ નિત્યાનંદ દેશ છોડીન ભાગી ગયો હતો. તે પછી એક વિડીયો સામે આવ્યો, જેમાં નિત્યાનંદે દાવો કર્યો કે, તે એક દેશનો માલિક બની ગયો છે. નિત્યાનંદે કૈલાસાની એક વેબસાઈટ પણ બનાવી છે. વેબસાઈટમાં લખ્યું છે કે, કૈલાસા એક એવો દેશ છે જે કોઈ બંધન વિના હિંદુંઓ માટે બનાવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.