Western Times News

Gujarati News

ઝુંડાલ કેનાલમાં અમદાવાદના પ્રેમી યુગલે ઝંપલાવ્યું, યુવતીનું મોત

પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથીઃ પોલીસ

ગાંધીનગર, ગાંધીનગરના ઝુંડાલ નજીક નર્મદા કેનાલમાં અમદાવાદના પ્રેમી યુગલે ઝંપલાવતા યુવતીનું મોત થયું હતું અને પાણીમાં ગરકાવ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનો બનાવ અડાલજ પોલીસમાં નોંધાયો છે.

બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેની શોધખોળ શરૂ કરી ત્યારે યુવતીની લાશ ભારે જહેમત પછી બહાર કાઢવામાં આવી છે. જયારે યુવકની લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવથી બે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ અંગે અડાલજ પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું હતું કે, ઝુંડાલ બ્રિજ પાસેની અડાલજ નર્મદા કેનાલની બહાર બિનવારસી હાલતમાં બાઈક તેમજ એક લેડીઝ ચંપલ તથા જેન્ટસના બુટ પડ્યા હોવાની જાણ થઈ હતી તેના આધારે ગાંધીનગર ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરી ત્યારે યુવતીની લાશ મળી આવી હતી,

જયારે યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકના જમાદાર વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેનાલની બહારથી યુવતીનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે યુવતીનું નામ મિંકલ સોલંકી (રહે. સાબરમતી) હોવાનું જાણવા મળ્યું છે.

મોટેરાના નરેન્દ્ર રાઠોડ અને મિંકલ સ્કૂલમાં સાથે ભણતા હતા. શુક્રવારે બપોરે મિંકલ ઘરે કોઈને જાણ કર્યા વગર નરેન્દ્ર સાથે નીકળી ગઈ હતી તેઓ બાઈક લઈને ગાંધીનગર તરફ જઈ અડાલજ કેનાલમાં પડતું મુકયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.