Western Times News

Gujarati News

ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓમાં અગ્રેસર બનતું ગુજરાત

પ્રતિકાત્મક

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રનો “સુવર્ણકાળ”-ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ, સધન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં અગ્રેસર બનતું ગુજરાત

તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓનું સુદ્રઢીકરણ અતિઆવશ્યક છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તંદુરસ્ત ભારત , સશક્ત ભારતની નેમ વ્યક્ત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે.

ગુજરાતની હેલ્થ કેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવીને છેલ્લા બે વર્ષમાં આરોગ્યક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ થી સિવિલ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ અને સેવાઓને ઉત્તરોઉત્તર શ્રેષ્ઠ બનાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને દુર-સુદૂર, અંતરિયાળ  વિસ્તારોના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં રૂ. ૨ લાખના આરોગ્ય વીમા કવચ થી મા યોજનાની શરૂઆત કરી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા” યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખની વીમા  સહાય ઉપલબ્ધ બની છે. રાજ્યમાં હાલ ૧ કરોડ ૯૫ લાખ થી વધુ લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધારક બન્યા છે.

રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ એ ફેબ્રુઆરી-૨૦૨૨માં “મોતીયા અંધત્વ નિવારણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. જેના અંતર્ગત ફક્ત બે વર્ષના ટુંકા ગાળામાં ૮,૦૩,૧૨૩ મોતીયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સિધ્ધિ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ગુજરાતના આ મોડલની કેન્દ્ર સરકારે સરાહના કરીને સમગ્ર દેશમાં “નેત્રજ્યોતિ અભિયાન”ની શરૂઆત કરી.

કિડનીની બિમારી ધરાવતા દર્દીઓને ઘરઆંગણે ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે ગત વર્ષે “એ વન ડાયાલિસીસ પ્રોગ્રામ” અંતર્ગત નવીન ૨૦૦ થી વધુ  ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત બન્યા છે. હાલ રાજ્યમાં  કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રોમાં દર મહિને અંદાજીત 50 હજાર જેટલા ડાયાલિસીસ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે.

કેન્સરની બિમારીમાં કિમોથેરાપીની સારવાર જિલ્લા સ્તર સુધી પહોંચાડવા માટે “વન સ્ટેટ વન કિમો” ના ધ્યેયમંત્ર સાથે રાજ્યના તમામ જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ફક્ત ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં ૮૧ હજાર કિમોથેરાપી સેશન કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)માં ઓક્ટોમ્બર-૨૦૨૧માં રૂ. ૮૫ કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી મશીન કાર્યાન્વિત કરાયાં. આજે સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટીક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીના મોડલ પર વડોદરા, સુરત, રાજકોટ  શહેરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ- મેડિસીટીનું નિર્માણ કાર્ય આરંભવામાં આવ્યું છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના SOTTO(State Organ Tissue and Transplant Organisation) એકમ દ્વારા અંગદાન થી નવજીવનના ધ્યેય મંત્ર સાથે માનવસેવા અને ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરાયુ છે. રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વેગવંતી બની છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૯૨ અંગદાન થયા અને ૨૪૨૨ જેટલા કેડેવર અને જીવંત ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૩૦ જેટલા અંગદાનમાં મળેલા ૪૧૮ અંગો થકી ૪૦૧ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આજે સરકારી હોસ્પિટલમાં અંગદાનની શ્રેષ્ઠ પ્રવૃતિ માટે સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોડલ રૂપ બની છે.

દેશના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત બને, વિદ્યાર્થીઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયેલા સ્વપ્નને ગુજરાત સરકાર ફળીભૂત કરી રહી છે. ૨ વર્ષ પહેલા રાજ્યમાં ૩૧ મેડિકલ કૉલેજમાં ૫૫૦૦ જેટલી MBBS ની બેઠકો હતી. આજે રાજ્યામાં ૪૦ મેડિકલ કૉલેજમાં ૭૦૫૦ જેટલી બેઠકો કાર્યરત થઇ છે.

શહેરી આરોગ્ય સેવાઓ ઉપરાંત ગ્રામ્ય આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. છેલ્લા બે વર્ષમાં આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવા રાજ્ય સરકારે સરાહનીય કામગીરી કરી છે. પ્રવર્તમાન સરકાર હેલ્થ સાથે લોકોની વેલનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેન્દ્ર સરકારના ૮૭૧૦ HWC(હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)ના લક્ષ્યાંકની સામે રાજ્ય સરકારે ૮૮૦૭ સેન્ટર કાર્યરત કર્યા છે. જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

પ્રવર્તમાન સમયમાં વધતા જતા ટેકનોલોજીના વ્યાપ વચ્ચે ટેલિમેડિસીન સેવાઓનો અભિગમ ઉભરીને બહાર આવ્યો છે. રાજ્ય સરકાર પણ આ ટેલિમેડીસીન સેવાઓ થકી રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી પણ નિષ્ણાંત તબીબોની સેવા- તબીબી પરામર્શ સુપેરે પહોંચાડી રહી છે. છેલ્લા બે વર્ષમાં ૬૧.૨૭ લાખ દર્દીઓએ રાજ્યમાં ટેલિમેડિસીન – ટેલીકન્સલ્ટેશન સેવાઓનો લાભ મેળવ્યો છે.

ટેકનોલોજી, એપ્લીકેશનના ઉપયોગ થકી આરોગ્ય સેવાઓના સરળીકરણની દિશામાં કાર્ય કરીને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા “સ્માર્ટ રેફરલ એપ” બનાવવામાં આવી છે. તાજેતરમા જ એપ્રિલ-૨૦૨૩ માં સ્માર્ટ રેફરલ એપ અંતર્ગત પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. હાઇરીસ્ક સગર્ભાઓ, નવજાત શિશુ, ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા દર્દી અને ઇમરજન્સી સેવાઓને સરળ અને સધન બનાવવાના ઉદ્દેશ સાથે આ એપને કાર્યાન્વિત કરવામાં આવી છે. આ એપના માધ્યમથી હોસ્પિટલમાં તબીબો, આઇ.સી.યુ.ની સુવિધા, ઓક્સિજનની ઉપલબ્ધતા, બ્લડની ઉપલબ્ધતા જેવી અગત્યની સેવાઓની રીયલ ટાઇમ માહિતી દર્શાવવામાં આવે છે. જે આકસ્મિક સારવારમાં દર્દી અને તબીબ બંને માટે કારગત નિવડે છે.

હોસ્પિટલ સાથે હોસ્પિટાલીટીના અભિગમ સાથે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજયની ૬ સરકારી મેડિકલ કૉલેજ, ૮ GMERS  કૉલેજ, ૨૧ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ૫૮ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મળીને કુલ ૯૩ હોસ્પિટલમાં “પેશન્ટ હેલ્થ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન”ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દર્દી અને સગાઓ માટે હેલ્પ ડેસ્કની સુવિધા ઉપરાંત આરોગ્ય સેવા-સુવિધાઓની માહિતી દર્શાવતા ભીંત ચિત્રો, બેનર , હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર-પસારના માધ્યમથી જન જાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સંલગ્ન યોજનાઓનો વ્યાપ વધારવા માટે પ્રથમ વખત વર્લ્ડ બેન્ક દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. “SRESTHA” શ્રેષ્ઠ ગુજરાત પ્રોજ્ક્ટ અંતર્ગત ૫૦૦ મીલીયન યુ.એસ. ડોલરની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૩૫૦ મીલીયન યુ.એસ. ડોલર વર્લ્ડ બેન્ક દ્વારા અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.જેના અંતર્ગત રાજ્યમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સમાનતા , પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતા મૃત્યુદર, બાળમૃત્યુદર, કુપોષણ, બિનચેપી રોગો જેવા આરોગ્ય વિષયક વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરાશે.

છેલ્લા બે વર્ષમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગની વિવિધ પ્રવૃતિઓની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ માં કોવિડ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી  એવોર્ડ, મહત્તમ NQAS સર્ટીફિકેટ ધરાવતી આરોગ્ય સંસ્થાઓ માટે બેસ્ટ હેલ્થ કેર ક્વાલીટી સર્વિસ એવોર્ડ,

મહત્તમ આયુષ્માન કાર્ડ કાઢવા માટે આયુષ્માન ઉત્કૃષ્ઠ પુરસ્કાર – ૨૦૨૨ એવોર્ડ, અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠત્તમ  કામગીરી બદલ “ઇનોવેશન સ્ટેટ કેટેગરી”માં પ્રધાનમંત્રી એક્સલન્સ એવોર્ડ સહિતના વિવિધ બહુમાન પ્રાપ્ત થયા છે.

દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ  અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારીને સમાજના દરેક વર્ગ, સમુદાય, વિસ્તાર સુધી તેને સુપેરે પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યના નાગરિકોને આંગળીના ટેરવે આરોગ્ય સેવાઓની માહિતી મળે, ઘરઆંગણે સુવિધાઓ ઉપલબ્ધ બને, દરેક વ્યક્તિ નિરોગી અને તંદુરસ્ત રહે, બાળક કુપોષણ મુક્ત બને, માતા-બહેનો એનિમિયા મુક્ત બને તે માટે રાજ્ય સરકાર પ્રોગ્રેશીવ કેર ઉપરાંત પ્રિવેન્ટીવ અને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને રાઉન્ડ ધ ક્લોક નાગરિકોની સેવામાં સેવારત છે.- અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.