Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 15 થી 23 ઓક્ટોબર નવરાત્રી મહોત્સવ

પ્રતિકાત્મક

15 થી 23 ઓક્ટોબર દરમિયાન આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવામાં આવશે

થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાળ નગરી સહિતનાં અનેક આકર્ષણોનો સમાવેશ

વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવને જોવા અને માણવા માટે દેશ અને વિશ્વના પ્રવાસીઓ ઉમટી પડશે-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 15 ઓક્ટોબરે નવરાત્રી મહોત્સવ – 2023 નું ઉદ્દઘાટન કરશે

રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન 15 ઓક્ટોબરના રોજ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે  કરશે.

આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી અને અમદાવાદના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ,  પ્રવાસન મંત્રી શ્રી મુળૂભાઈ બેરા, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) વિભાગના રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. અમદાવાદનાં સંસદસભ્યશ્રી કિરીટભાઈ સોલંકી અને હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહેશે.

ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

નવરાત્રી મહોત્સવના મુખ્ય આકર્ષણ અંતર્ગત એન્સિલરી સ્ટેજ પર રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 કલાકથી શરૂ થશે.

આ ઉપરાંત તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 9 કલાકથી રાત્રિના 12 કલાક દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ ગરબા ગાયકોના સુમધુર આવાજ અને સંગીતના સાધનોના લયબદ્ધ તાલ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમશે. શેરી ગરબામાં ભાગ લેવા માટે ખૈલેયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરવા હોવા જરૂરી છે. એટલું જ નહિ, 16 થી 23 ઓક્ટોબર દરરોજ રાત્રે 11:45 કલાકે મહાઆરતીનું પણ સુંદર આયોજન કરાયું છે.

તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 5 થી 12 કલાક સુધી થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાલ નગરી, સાબરમતી આશ્રમ જેવાં થીમ આધારિત ગેટ, અટલ બ્રિજ, દાંડિયા દ્વાર, ‘દીયા’ અને ‘કળશ’ સહિતનાં મુખ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે.

ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળો અને ઘટનાઓ જેવી કે, ચાર વેદ, રામ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ચંદ્રયાન, તેજશ (પ્લેન), રમત-ગમત ક્ષેત્રે પ્રસિધ્ધ ખેલાડીઓના જીવનની ઝલક, માઁ આધ્યશક્તિનાં નવ સ્વરૂપો, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, થિમેટીક ટનલ સહિતની થીમ આધારિત વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન હાથ ધરાયું છે.

ખાણી-પીણીના શોખીન ગુજરાતીઓની રૂચિ અને રાજ્યના વિવિધ સ્થળોની વિશિષ્ટ વાનગીઓને ધ્યાનમાં રાખીને ફૂડ સ્ટોલ્સ ખોલવામાં આવ્યા છે. ખૈલેયાઓ ગરબાની ધૂમ અને થકાવટની વચ્ચે ગુજરાતની વિવિધ વાનગીઓના સ્વાદની મજા ઉઠાવીને ફરીથી સ્ફુર્તિ અનુભવી શકશે.

ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવશે. જેના માધ્યમથી નાગરિકોને ગુજરાતની અનોખી હસ્તકળા કારીગરીથી રૂબરૂ થવાની તક સાંપડશે તેમજ કારીગરોને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળશે.

ખુલ્લા આકાશની નીચે વિશાળ મેદાનમાં ઝગમગાટ કરતી રોશનીની વચ્ચે રંગબેરંગી વસ્ત્રોમાં સજેલા હજારો યુવાનોના જોશનું પ્રદર્શન એટલે ગુજરાતના ગરબા. શ્રધ્ધા, ભક્તિ અને ઉમંગના આ નજારાને પોતાની આંખોથી જોવા માટે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ગુજરાતની ધરતી પર આવશે.

ગુજરાતની અનોખી ઓળખ અને બ્રાન્ડ બની ચૂકેલા નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે લાખો ખેલૈયાઓના કલાત્મક ગરબા માટે પ્લેટફોર્મ બનશે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવને સફળ બનાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.