Western Times News

Gujarati News

બાઇક ચાલક પર વીજળી પડતાં યુવાનનું મોત

જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડતા બેના મોત થયા

રાજકોટ,  રાજ્યમાં ૨૭ નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતભરમાં રવિવારે વરસાદ થયો હતો. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં આજે કમોસમી વરસાદ આવ્યો ન હોય. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૬૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના વંથલીમાં પણ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સવારે છ થી ૧૦ દરમિયાન છ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં આજે કમોસમી વરસાદથી ૨ મોત નોંધાયા છે. એક કિશોર અને એક યુવકનું વીજળી પડતા મોત નિપજ્યું છે. તો રાજકોટમાં કરા પડ્યા છે.

અમરેલીના ગાજવીજ સાથે વહેલી સવારથી માવઠું આવ્યું છે. આવામાં જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડી હતી. વીજળી પડતા ૧૬ વર્ષના કિશોરનું મોત નિપજ્યું છે. કિશોર પાકને બચાવવા તાડપત્રી ઢાંકવા જતા તેના પર વીજળી ત્રાટકી હતી. જેથી જાફરાબાદ હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાનો તેને લઈને સારવાર માટે દોડ્યા હતા.

પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો. તો બીજી તરફ, બોટાદમાં બાઇક ચાલક પર વીજળી પડતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. બરવાળા તાલુકાના નાવડા ગામ અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના દેવપરા ગામ વચ્ચે આ ઘટના બની હતી. હેબતપુર ગામથી બરવાળા તરફ બાઇક લઈ આવી રહેલ યુવાન પર અચાનક વીજળી પડી હતી.

જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હેબતપુર ગામના ૨૨ વર્ષીય રાકેશભાઈ ધરેજીયા નામના યુવાનનું મોત નિપજ્યું છે. બરવાળા પંથકમાં થયેલ કમોસમી વરસાદના કારણે વીજળીએ યુવાનનો ભોગ લીધો છે. બાઇક ચાલક યુવાનને ૧૦૮ મારફતે બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

કમોસમી વરસાદ વચ્ચે ગુજરાતમાં કરા પડ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર હિમવર્ષા જાેવા મળી છે. ખાસ કરીને રાજકોટના માલિયાસણના હિમવર્ષાના દ્રશ્યો જાેવા મળતા કુતૂહલ સર્જાયું છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે. કાંકરેજના ખારીયા ગામે વીજળી પડતાં ભેંસનું મોત નિપજ્યું છે. ખેતરમાં છાપરા ઉપર વીજળી પડતા છાપરું પણ સળગી ગયુ હતું. વીજળી પડતા ભેંસનું મોત થતા લખુભા વાઘેલા નામના પશુપાલકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.