અમદાવાદના 8 તાલુકાના 215થી વધુ ગામોમાં ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા: 60,000 લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લીધો લાભ
અમદાવાદ જિલ્લાના 1 લાખથી વધુ લોકોએ લીધા વિકસિત ભારતના શપથ-18,000 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે, તમામ લાભાર્થી અને નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે.
અમદાવાદ જિલ્લાનાં ગામડાંઓમાં વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
આજ દિન સુધી જિલ્લાના 8 તાલુકાના 215થી વધુ ગામડાંઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી ચૂકી છે, જ્યાં 1 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બાવળા તાલુકામાં તા.19/12/23 થી યાત્રા શરૂ થનાર છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે દરેક ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 60,000 લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે.
જિલ્લામાં 600થી પણ વધુ મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, 616 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત પાત્રતા ધરાવતા 26,000થી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાની પ્રક્રિયા કરાઈ હતી જેમાં સ્થળ પર ત્વરિત 18,000 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું ત્વરિત વિતરણ કરાયું હતું.
અત્યાર સુધીમાં 4500 જેટલા યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર 17થી વધારે યોજનાઓના લાભોની વણઝાર વરસી રહી છે.