ગુજરાતના વીર સપૂતને એકલા હાથે આતંકવાદીને મારવા બદલ સન્માન મળ્યું
સંજય બારીયાએ આતંકવાદીને માર્યો હતોઃ રાષ્ટ્રપતિ દ્વારા સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરાયો હતો
શહેરા, રાજધાની દિલ્હીમાં સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એકલા હાથે આતંકવાદીને ઠાર કરનાર ગુજરાતના જવાનને શૌર્ય ચક્ર એનાયત કરાયું છે. ૨૧મી મહાર ૧ રેજિમેન્ટના એકમાત્ર ગુજરાતી જવાન સંજય બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શૌર્ય પદક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આ જવાનની છાતી ગદ ગદ ફૂલી ગઈ હતી.
સંજય બારીયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકના ખોજલવાસાના વતની છે. તેમણે પોતાની રેજિમેન્ટ સાથે સતત ૧૨ દિવસ સુધી આતંકવાદીઓ સામે લડત આપી હતી. નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારીયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત ૧૨ દિવસ ચાલેલા ઓપરેશનમાં મોટી કામગીરી કરી હતી.
સંજય બારીઆ વર્ષ ૨૦૦૧ માં અમદાવાદ ખાતે યોજાયેલી ભરતી દરમિયાન ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે પોતાનું શિક્ષણ ખોજલવાસા ખાતે લીધું હતું. તેઓના પિતા પોલીસ વિભાગમાં હતા. જેઓનું નિધન વર્ષ ૨૦૦૩માં થયું હતું. તેઓનો એક ભાઈ સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે. દેશ પ્રત્યેની તેમની
આ સેવાને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લખ્યું કે, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન. અદમ્ય સાહસ અને અસાધારણ વીરતાથી દેશની રક્ષા કરતા ભારતીય સેનાના સૌ જવાનો પ્રત્યે દેશવાસીઓને ગર્વ છે.
માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન. ઉલ્લેખનીય છે કે, દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/યુટી પોલીસના કર્મચારીઓને ૧૦ કીર્તિ ચક્ર (સાત મરણોત્તર) અને ૨૬ શૌર્ય ચક્રો એનાયત કર્યા. સપૂતોને વિશેષ બહાદુરી, અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યે અત્યંત સમર્પણ દર્શાવવા બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા.